ભારતમાતા (ચિત્ર)
અવનિન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવેલું ચિત્ર / From Wikipedia, the free encyclopedia
ભારત માતા એ ૧૯૦૫માં ભારતીય ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર દ્વારા દોરવામાં આવેલી એક કૃતિ છે. જોકે, આ ચિત્રને સૌ પ્રથમ ૧૮૭૦ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જીએ ચિત્રિત કર્યું હતું. આ કૃતિમાં ભગવા વસ્ત્રો પહેરેલી સાધ્વી જેવી વેશભૂષા ધારણ કરેલી એક સ્ત્રી, તેના ચાર હાથમાં પુસ્તક, ડાંગર, સફેદ કાપડનો ટુકડો અને રૂદ્રાક્ષની માળા સાથે દર્શાવવામાં આવી છે. આ ચિત્ર (પેઇન્ટિંગ) ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન સ્વદેશી આદર્શોના ખ્યાલનું પ્રથમ સચિત્ર નિરૂપણ હતું.
ભારતીય કવિ અને કલાકાર રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અવનીન્દ્રનાથને નાની ઉંમરે ટાગોર કુટુંબના કલાત્મક અભિરુચિથી અવગત કરાવ્યા હતા.
અવનીન્દ્રનાથે ૧૮૮૦ના દાયકામાં કોલકાતાની સંસ્કૃત કોલેજમાં પ્રથમ વખત અભ્યાસ કર્યો ત્યારે તેમને કલા શીખવાથી માહિતગાર કરવામાં આવ્યા. આરંભનાં વર્ષો દરમિયાન ટાગોરે યુરોપની પ્રકૃતિવાદી શૈલીમાં ચિત્રો દોર્યાં હતાં, જે એમના આરંભનાં ધ આર્મરી (શસ્ત્રાગાર) જેવાં ચિત્રો પરથી સ્પષ્ટ થાય છે. લગભગ ૧૮૮૬ કે ૧૮૮૭ની સાલમાં ટાગોરના સંબંધી જ્ઞાનનંદિનીદેવીએ ટાગોર અને કલકત્તાની ગવર્નમેન્ટ સ્કૂલ ઑફ આર્ટના ક્યુરેટર ઈ. બી. હેવેલ વચ્ચે મુલાકાત કરાવી. એ મુલાકાતને પરિણામે હેવેલ અને ટાગોર વચ્ચે શ્રેણીબદ્ધ આદાન-પ્રદાન થયાં. એમાં હેવેલને એ જ દિશામાં વિચારો સાથે મૂળ કળાનો સહયોગી મળ્યો અને ટાગોરને એક એવા શિક્ષક મળ્યા જે એમને હિંદી કળાના ઇતિહાસના વિજ્ઞાન વિશે શીખવવાના હતા. એમણે ટાગોરને આર્ટ સ્કૂલના ઉપ પ્રધાનાચાર્ય (વાઇસ પ્રિન્સિપાલ) તરીકે સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. જેને સ્કૂલમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આમ કરવા માટે હેવેલે શાળાના મોટા ભાગના નિયમોને તોડવા પડ્યા અને ટાગોરની વર્ગખંડોમાં હુક્કા પીવાની અને સમયપત્રકને વળગી રહેવાની ના પાડવાની ઘણી આદતો સહન કરવી પડી.[1]