ભારતીય સ્વતંત્રતા ચળવળ
From Wikipedia, the free encyclopedia
ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. [1]
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. [2] ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. [3]
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે મહાત્મા ગાંધીના અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભિયાનો અપનાવ્યા હતા. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ભગત સિંહ, સૂર્ય સેન જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. સરોજિની નાયડુ, પ્રીતીલતા વાડ્ડેદર, બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. બી.આર. આંબેડકરે વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. [4] બીજા વિશ્વયુદ્ધના દરમ્યાન જાપાનની મદદથી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની ભારતની રાષ્ટ્રીય સૈન્યની ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન એ આ ચળવળનો ચરમકાળ હતો. [3]
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. [5]